નવી દિલ્હી : યુટ્યુબ ચેનલ ‘4PM ન્યૂઝ’ (4PM News) ખોલવા પર હવે આ સંદેશ દેખાઈ રહ્યો છે કે ‘રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલા સરકારના એક આદેશને કારણે આ ચેનલ હાલમાં દેશમાં ઉપલબ્ધ નથી.’ ગુરુવાર (12 માર્ચ)થી આ ચેનલ યુટ્યુબ પર દેખાતી નથી.
આ ચેનલના સંપાદક સંજય શર્માએ આરોપ લગાવ્યો છે કે સરકાર તેમની તીખી ટીકાને કારણે વારંવાર ચેનલને બેન કરીને સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
સંજય શર્માએ કહ્યું કે તેમને યુટ્યુબ તરફથી મળેલા મેઈલમાં ચેનલને બંધ કરવા વિશે કોઈ વિગત આપવામાં આવી નથી. તેમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે સરકારના નિર્દેશ પર રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થાનો હવાલો આપીને ચેનલને બંધ કરવામાં આવી રહી છે.
તેમ છતાં તેમનું માનવું છે કે ઈરાનના પ્રોફેસર અબ્બાસ સાથેની વાતચીતના વીડિયોને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. સંજય શર્માએ જણાવ્યું કે તેમની યુટ્યુબ ચેનલ ફક્ત દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, વિદેશમાં તેને હજુ પણ જોઈ શકાય છે. સંજય શર્મા અનુસાર, આ પહેલી વખત નથી કે તેમના ચેનલને સરકાર દ્વારા આવી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તેના પહેલાં પણ છેલ્લા વર્ષે પહેલગામ આતંકી હુમલાના સમયે આ જ આરોપની ‘આડમાં’ ચેનલ બંધ કરાવવામાં આવી હતી અને પછી જ્યારે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તો સરકારે ચુપચાપ પોતાનો આદેશ પાછો ખેંચી લીધો અને ચેનલને પુનઃસ્થાપિત કરી દીધી.
સંજય શર્મા જણાવે છે કે 2022ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમની ચેનલને બેન કરવામાં આવી હતી. તેમનો આરોપ છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા પછી તેમના પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે તેઓ સત્તાની સામે ઘૂંટણ ટેકવી દે અને સરકારથી કડવા સવાલ ન પૂછે.
છેલ્લા 8-9 વર્ષથી સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે: સંપાદક
સંપાદક અનુસાર, તેમને છેલ્લા 8-9 વર્ષથી સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે. પહેલાં તેમના અખબારને નિશાન બનાવવામાં આવ્યું અને પછી તેમના યુટ્યુબ ચેનલને બેન કરીને તેમને પત્રકારત્વ કરતા રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેઓ કહે છે, ‘યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા પછી છ મહિનામાં જ મને તેમના એક વરિષ્ઠ અધિકારીએ બોલાવ્યો અને કહ્યું કે સીએમ તમારાથી ખૂબ નારાજ છે કારણ કે તમે તેમની વિરુદ્ધ ખબર છાપી રહ્યા છો… મેં તેમને કહ્યું કે અમે કોઈ સરકારની વિરુદ્ધ નથી લખતા જે સત્તામાં છે, અમે ફક્ત તેનાથી સવાલ કરીએ છીએ.’
સંજય શર્મા જણાવે છે કે જ્યારે તેમણે અધિકારીની વાત ન માની તો તેમના પર ફરજી મુકદ્દમો દાખલ કરીને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તેઓ આગળ ઉમેરે છે કે તેમને પરેશાન કરવાનો મામલો અહીં ન અટક્યો. તેમણે પોતાના અખબારમાં એક વિશેષ તપાસ દળ (એસટીએફ)ની ખબર છાપી, જેના પર એસટીએફના વડાએ તેમના અને તેમની પત્ની (જેમના નામે અખબાર હતું) વિરુદ્ધ માનહાનિનો મુકદ્દમો દાખલ કરી દીધો.
સંજય શર્મા અનુસાર, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના એક ઇન્ટરવ્યુ પછી તેમને સરકાર દ્વારા ફાળવવામાં આવેલું સરકારી ફ્લેટ, જે તે સમયે પત્રકારોને આપવામાં આવ્યું હતું, તેમની પાસેથી ખાલી કરાવી લેવામાં આવ્યું. તેમની માન્યતા રદ્દ કરી દેવામાં આવી. તેમના અખબારને કોઈ જાહેરાત આપવામાં ન આવી. આ બધાથી પરેશાન થઈને જ તેમણે પોતાનું યુટ્યુબ ચેનલ શરૂ કરી, જે લોકોને ખુબ જ પસંદ આવી અને તેને લાખો લોકો જૂએ છે. જેથી તે સરકારને ખટકે છે.
તેઓ આગળ જણાવે છે કે તેમના નેશનલ 4PM ચેનલના લગભગ 85 લાખ સબ્સ્ક્રાઈબર્સ છે, વ્યૂઅરશિપ (કન્ટેન્ટ જોનારા દર્શકોની કુલ સંખ્યા) એક કરોડની આસપાસ છે. જ્યારે યુપી4PMના લગભગ 18 લાખ સબ્સ્ક્રાઈબર્સ છે.
‘સરકારથી સવાલ પૂછવા પર કાર્યવાહી’
પહેલગામ હુમલા પછીની આ ચેનલ પર કાર્યવાહી વિશે તેઓ કહે છે, ‘મેં તે સમયે ફક્ત એ સવાલ કર્યો હતો કે આતંકી ત્યાં કેવી રીતે ઘુસ્યા? તે પછી મારા વિરુદ્ધ આવક વેરા અને ઈડીની તપાસ ચાલું થઈ ગઈ હતી. વર્તમાનમાં અમે ફક્ત એ સવાલ ઉઠાવ્યો કે ઈરાન તો ભારતનો મિત્ર છે, તો સરકાર તેની સાથે આવું વર્તન કેમ કરી રહી છે, જે બધા જ પત્રકારને પૂછવું જોઈએ. આ પ્રશ્ન પર અમારી ચેનલ પર ફરી દેશહિતના નામે કાર્યવાહી કરી દેવામાં આવી છે.
સંજય શર્મા અનુસાર, આ દરમિયાન ગુજરાતની કોર્ટમાંથી પણ તેમને અનેક નોટિસ મળી છે અને લખનઊમાં પણ તેમના પર અનેક કેસ દાખલ થયો છે. તેઓ જણાવે છે કે તેમને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી તપાસ કાર્યવાહીઓનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો –મોરબી પર ખાડી યુદ્ધની ભયંકર અસર : 15 માર્ચ પછી શું? દેશના સિરામિક સેક્ટરમાં અનિશ્ચિતતાનું વાતાવરણ
