નવી દિલ્હી : બાલાસોરના પૂર્વ સાંસદ અને બીજુ જનતા દળ (બીજેડી)ના નેતા રવિંદ્ર કુમાર જેના બુધવારે (11 માર્ચ) ઓડિશાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ઔપચારિક રીતે જોડાયા હતા.
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, રવિંદ્ર કુમાર જેનાએ પોતાના સમર્થકો સાથે ભુવનેશ્વરમાં ભાજપના રાજ્ય મુખ્યાલયમાં પાર્ટીની સદસ્યતા લીધી.
ઉલ્લેખનીય છે કે જેના ગુરુવારે (12 માર્ચ) થનારી સીબીઆઈની કોર્ટ હિયરિંગથી એક દિવસ પહેલાં બુધવારે ભાજપમાં જોડાયા હતા. સીબીઆઈએ ઓડિશાના સીશોર ચિટ ફંડ ઘોટાળામાં કથિત સંડોવણીના આરોપમાં જેના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
ભાજપની ઓડિશા એકમના અધ્યક્ષ મનમોહન સામલ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાયા પછી રવિન્દ્ર કુમારે કહ્યું, “ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે ઓડિશા તેમજ ભારતનો વિકાસ કરી શકે છે.”
આ પહેલાં મંગળવારે (10 માર્ચ) રવિંદ્ર કુમાર જેનાએ પાર્ટી અધ્યક્ષ નવીન પટનાયકને લખેલા પત્રમાં ‘વ્યક્તિગત કારણો અને વર્તમાન પરિસ્થિતિઓ’નો હવાલો આપીને બીજેડીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું.
જાણકારી મુજબ, 2014માં જેનાએ બીજેડીના ટિકિટ પર બાલાસોર લોકસભા બેઠક જીતી હતી. પાંચ વર્ષ પછી 2019ની ચૂંટણીમાં તેઓ ભાજપના પ્રતાપ સારંગી પાસેથી આ બેઠક હારી ગયા હતા. ત્યારબાદ 2024માં તેમને સામાન્ય ચૂંટણીમાં પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી નહતી.
તેમ છતાં બીજેડીએ તેમની પત્ની સુબાસિની જેના, જે બાસ્તાથી વર્તમાન બીજેડી વિધાનસભ્ય છે,ને 2024ની વિધાનસભા ચૂંટણીમાં ફરી તે જ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર બિજન નાયકને 20,000થી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
અખબાર અનુસાર, જેના સાથે બાસ્તા અને બાલાસોર બ્લોકના અધ્યક્ષ તેમજ જિલ્લાના છ જિલ્લા પરિષદ સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.
રવિંદ્ર કુમાર જેનાએ કહ્યું કે તેઓ બીજેડી સુપ્રીમો પટનાયકનો ખૂબ આદર કરે છે. પરંતુ આગામી પેઢીના નેતાઓને સત્તા સોંપ્યા વિના કોઈ પણ પ્રાદેશિક પાર્ટી ટકી શકતી નથી. જેનાએ આગળ કહ્યું કે તેમણે બીજેડી નેતૃત્વ સમક્ષ આ મુદ્દો અનેક વખત ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.
ઉલ્લેખનિય છે કે એપ્રિલ 2024ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2014થી વિપક્ષી પાર્ટીઓ સાથે જોડાયેલા 25 નેતાઓ કે જેઓ કેન્દ્રીય એજન્સીની તપાસના દાયરામાં હતા, તેઓ ભાજપમાં જોડાયા છે. આમાંથી વધુ રસપ્રદ વાત એ છે કે આ 25માંથી 23 નેતાઓને તે કેસોમાં રાહત મળી ચૂકી છે જેમાં તેઓ તપાસનો સામનો કરી રહ્યા હતા. જ્યારે ત્રણ નેતાઓ વિરુદ્ધના કેસ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે અને અન્ય 20માં તપાસ અટકી ગઈ છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ યાદીમાં છ એવા નેતાઓ સામેલ છે જેઓ સામાન્ય ચૂંટણીથી થોડા અઠવાડિયા પહેલાં પોતાની પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. આવા કિસ્સામાં વિપક્ષ અવારનવાર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અને નેતાઓના પાર્ટી બદલવા માટે ભાજપને નિશાન બનાવતું રહ્યુ છે.
આ પણ વાંચો – મોરબી પર ખાડી યુદ્ધની ભયંકર અસર : 15 માર્ચ પછી શું? દેશના સિરામિક સેક્ટરમાં અનિશ્ચિતતાનું વાતાવરણ
