અમદાવાદ: શિલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાની ગંભીર ઘટના અને મલાલા યુસુફઝઈના પુસ્તક મુદ્દે વાલીઓ તથા હિન્દુ સંગઠનોના ભારે વિરોધ બાદ શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરી દ્વારા ફટકારવામાં આવેલી બે નોટિસ બાદ શાળા સંચાલકોએ ઝૂકવું પડ્યું છે અને ‘એક્શન ટેકન રિપોર્ટ’ રજૂ કરી કડક પગલાં લીધા છે.
શિક્ષણ વિભાગે બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા RTE રૂલ્સ-2012 હેઠળ શાળાને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ જવાબદાર કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.
શાળા સંચાલકો દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાં
કર્મચારીઓની હકાલપટ્ટી: ગંભીર બેદરકારી બદલ એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને કરિક્યુલમ ડિઝાઇનર મુંજા સમ્સ, ફરજ પરના બે સુપરવાઇઝર અને કેન્ટીન ઇન્ચાર્જને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.
વિવાદિત પુસ્તક હટાવાયું: મલાલા યુસુફઝઈના પુસ્તકને કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાના આક્ષેપ બાદ શાળાએ આ પુસ્તક પરત ખેંચી લીધું છે અને ભવિષ્યમાં આવું ન થાય તેની લેખિત બાંહેધરી આપી છે.
નિયમિત પ્રાર્થના શરૂ: છેલ્લા એક મહિનાથી શાળામાં પ્રાર્થના બંધ હોવાની ફરિયાદને પગલે, હવે આખા અઠવાડિયાનું શેડ્યૂલ બનાવી રોજેરોજ નિયમિત પ્રાર્થના શરૂ કરવામાં આવી છે.
નવા સ્ટાફની ભરતી: પ્રિન્સિપાલની ખાલી પડેલી પોસ્ટ ભરવા અને નવી કેન્ટીન એજન્સી લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
જ્યાં સુધી મંજૂરી નહીં, ત્યાં સુધી કેન્ટીન બંધ!
DEO રોહિત ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું સંપૂર્ણ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી શાળાની કેન્ટીન રેગ્યુલર ચાલુ થઈ શકશે નહીં. કેન્ટીનની ફી ભરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે શાળાની અન્ય બ્રાન્ચમાંથી ભોજન લાવવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે. જોકે, શિક્ષણ વિભાગે કડક આદેશ આપ્યો છે કે જો કોઈ વાલી આ વૈકલ્પિક વ્યવસ્થા ન સ્વીકારે, તો શાળાએ તેમને કેન્ટીનની પૂરેપૂરી ફી પરત કરવાની રહેશે.
આવતીકાલથી પોલીસ પ્રોટેક્શન સાથે રાબેતા મુજબ શિક્ષણ શરૂ
વિવાદને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાળાએ બે દિવસ પ્રાથમિક વિભાગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ રાખીને ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. પરંતુ, હવે પોલીસ પ્રોટેક્શનની માંગણી સાથે આવતીકાલથી શાળામાં રાબેતા મુજબ ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે.
DEO એ ચીમકી આપતા જણાવ્યું હતું કે, “શાળાએ અમારી સૂચનાઓનું પાલન કર્યું છે, પરંતુ બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે આવી ગંભીર બેદરકારી ભવિષ્યમાં બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.”
આ પણ વાંચો – શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટરની જગ્યાએ પરિપત્રો : નેતાઓની ભીડ ભેગી કરવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં!
