સુરત: લોકશાહીમાં નેતાઓ પોતાની સત્તા જાળવી રાખવા અને પોતાના કાર્યક્રમોમાં ભીડ બતાવવા માટે હવે વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવાની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા એ છે કે શિક્ષકો પાસે ભણાવવા સિવાય દુનિયાભરના તમામ કામ કરાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીની કામગીરી હોય, વસ્તી ગણતરી હોય કે પછી કૂતરા અને વાંદરા પકડવાનું કામ હોય—આ બધી જ જવાબદારીઓ જાણે શિક્ષકોના માથે થોપી દેવામાં આવી છે. આટલું ઓછું હોય તેમ હવે સુરતમાં હર-ઘર તિરંગા યાત્રામાં શિક્ષકોને ફરજિયાત લાવવા માટેના ‘ફરમાનો’ એટલે કે પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે.
નિયમ મુજબ બાળકોના હાથમાં ચોપડી અને શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટર હોવા જોઈએ. પરંતુ, સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોના હાથમાં હવે માત્ર સરકારી પરિપત્રો જ જોવા મળી રહ્યા છે. એક પછી એક સરકારી કામગીરી અને કાર્યક્રમોના બોજા તળે દબાયેલા શિક્ષકોને આજે ફરીથી વર્ગખંડની બહાર કાઢીને તિરંગા યાત્રામાં હાજરી આપવા માટે ફરજિયાત આદેશ આપવામાં આવ્યો છે.
વરસાદની આગાહી વચ્ચે પણ ફરજિયાત હાજરીનો તુઘલખી આદેશ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્ર મુજબ, તમામ સાથી શિક્ષકો, જ્ઞાનસહાયકો અને શાળા દીઠ બે ઉપશિક્ષકોએ આજે સાંજે 5 વાગ્યે ડુમસ રોડના વાય જંકશન ખાતે હાજર રહીને નોડલ ઓફિસર પાસે પોતાની હાજરી પુરાવવાની રહેશે. શહેરમાં આજે વરસાદની આગાહી છે અને વરસાદી વાતાવરણ સર્જાયું હોવા છતાં, આ આદેશમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. સાંજે 6 વાગ્યે યાત્રા શરૂ થવાની હોવા છતાં શિક્ષકોને એક કલાક અગાઉ બોલાવી લેવાયા છે. રાષ્ટ્રભક્તિના કાર્યક્રમ સામે કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ જ્યારે હાજરી ફરજિયાત કરીને તેની નોંધ લેવાનું શરૂ થાય, ત્યારે તે રાષ્ટ્રભક્તિ ઓછી અને તાનાશાહી વધુ લાગે છે. આ આદેશથી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
‘પરિપત્ર રાજ’થી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત
શિક્ષકોમાં એ વાતની ભારે નારાજગી છે કે એક કામગીરી પૂરી થાય તે પહેલાં જ બીજી કામગીરીનો પરિપત્ર આવી જાય છે. અગાઉ BLOની કામગીરી, વસ્તી ગણતરી, સર્વે અને ઓનલાઈન ડેટા એન્ટ્રી જેવી અનેક બિન-શૈક્ષણિક કામગીરીઓ શિક્ષકોને સોંપાઈ ચૂકી છે. શિક્ષકોનો મોટાભાગનો સમય વર્ગખંડની બહાર અને સરકારી કાર્યક્રમોમાં જ વેડફાઈ રહ્યો છે. તિરંગા યાત્રામાં ફરજિયાત હાજરીના આદેશથી ફરી એકવાર ‘પરિપત્ર રાજ’ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
શિક્ષકો ભણાવવા માટે છે કે ભીડ ભેગી કરવા માટે?
શિક્ષકોનું સ્પષ્ટ માનવું છે કે જો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું હોય, તો શિક્ષકને વર્ગખંડમાં પૂરતો સમય આપવો અત્યંત જરૂરી છે. જો શિક્ષકોને વારંવાર આવા કાર્યક્રમોમાં જોતરી દેવામાં આવશે, તો તેની સીધી અસર બાળકોના શૈક્ષણિક કાર્ય પર પડશે. એક તરફ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા મોટી મોટી વાતો કરે છે અને બીજી તરફ શિક્ષકોને સતત બિનશૈક્ષણિક કામગીરીમાં અટવાયેલા રાખે છે—આ કેવો વિરોધાભાસ છે?
આજે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, શિક્ષકોનો સમય બાળકોના ભણતર અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે છે, કે પછી સરકારી કાર્યક્રમોમાં હાજરીની સંખ્યા વધારીને નેતાઓની વાહ-વાહી કરાવવા માટે? તિરંગા યાત્રા એ રાષ્ટ્રભાવનાનો પવિત્ર કાર્યક્રમ છે, પરંતુ તેની આડમાં શિક્ષકોની મૂળ શૈક્ષણિક જવાબદારીને પાછળ ધકેલી દેવી, એ ગુજરાતના ભવિષ્ય સાથે સૌથી મોટો ચેડાં છે.
આ પણ વાંચો – ભાગ-2 જુવાની પહેલાં જુલમ: “રાજનીતિ કો રીલ પસંદ હૈ”, પરંતુ સુરતમાં રીલ નહીં, રિયલ પોલીસિંગની દરકાર
