અમદાવાદ/સુરત/રાજકોટ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ₹2.38 કરોડથી વધુની નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા કેસમાં તપાસ આગળ વધતા હવે એક નવો અને અત્યંત સંવેદનશીલ એંગલ સામે આવ્યો છે. વિશ્વસનીય સૂત્રોના મુજબ, મુખ્ય આરોપી ગણાતા વિવાદિત ‘યોગ ગુરુ’ પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજીના સંપર્કમાં ગુજરાતના એક રિટાયર્ડ સિનિયર અધિકારી હોવાની ચર્ચા તેજ બની રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના સમયગાળા દરમિયાન પ્રદીપ આ રિટાયર્ડ અધિકારીના સંપર્કમાં આવ્યો હતો, ત્યારબાદ તેના પ્રભાવ અને સંપર્કોમાં અચાનક અને નોંધપાત્ર વધારો થયો હતો. રાજકીય નેતાઓ તેમજ ધાર્મિક આગેવાનો સાથે પ્રદીપના વધતા સંબંધો પાછળ આ અધિકારીનો કોઈક રીતે રોલ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો આ દિશામાં મજબૂત પુરાવા સામે આવશે, તો તપાસનો વ્યાપ આ રિટાયર્ડ સિનિયર અધિકારી સુધી વિસ્તરવાની સંપૂર્ણ શક્યતા છે.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ અમરાઈવાડી વિસ્તારમાંથી ₹500ની નકલી નોટોના મોટા જથ્થા ઝડપાયા બાદ થયો હતો. જપ્ત કરાયેલી નોટોની ગુણવત્તા એટલી અદ્યતન હોવાનું સામે આવ્યું છે કે તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. અત્યાર સુધી ભારતમાં ઝડપાયેલા નકલી નોટોના કેસોમાં આ નોટોની પ્રિન્ટિંગ અને ગુણવત્તા સૌથી વધુ આધુનિક ગણાઈ રહી છે.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે નકલી નોટો બનાવવા માટેનો ખાસ કાગળ અને પ્રિન્ટિંગ માટેના ઉપકરણો ચીનમાંથી મંગાવવામાં આવ્યા હતા, જે આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન તરફ પણ સંકેત આપે છે.
આ કેસમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામમાં આવેલ “શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન”ના આશ્રમમાં દરોડા પાડી નકલી નોટો છાપવાના પુરાવા કબ્જે કર્યા હતા. આશ્રમમાંથી પ્રિન્ટિંગ મશીનો, વિશેષ પ્રકારનો કાગળ અને અન્ય સાધનો મળી આવ્યા હતા.
તે ઉપરાંત સુરતના સરથાણા વિસ્તારમાં મુકેશ પટેલના ઘરે કરાયેલા સંયુક્ત દરોડામાં મોટી માત્રામાં નકલી ચલણી નોટો અને પ્રિન્ટિંગ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. મુકેશ પટેલની અટકાયત કરીને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
રાજકોટમાં પણ પ્રદીપના ભાઈ અમિત જોટાંગિયાના ઘરે તપાસ હાથ ધરાઈ રહી છે. મોબાઈલ અને અન્ય ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે, તેમજ બંને ભાઈઓ વચ્ચેના સંપર્કોને લઈને પણ સઘન પૂછપરછ થઈ રહી છે.
હાલમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આ રિટાયર્ડ સિનિયર અધિકારી સાથેનો સંબંધ માત્ર સામાજિક ઓળખાણ પૂરતો હતો કે પછી તેની પાછળ કોઈ વધુ ઊંડો અને ગૂંચવણભર્યું જોડાણ છુપાયેલું છે? શું આ અધિકારી પ્રદીપને પ્રોત્સાહન આપી રહ્યો હતો? અને જો હા, તો તેના બદલામાં તે પ્રદીપ પાસેથી શું મેળવી રહ્યો હતો?
આ તમામ પ્રશ્નોના જવાબ હવે તપાસની દિશા નક્કી કરશે. તપાસ એજન્સીઓ આ નવા ઇનપુટના આધારે આગળ વધે છે કે નહીં અને શું સત્તાવાર રીતે આ એંગલ પર તપાસ શરૂ થાય છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.10 કરોડથી વધારે સુપર-ક્વોલિટી નકલી નોટ સાથે 6 ઝડપ્યા, ફોર્ચ્યુનર ગાડી જપ્ત
