ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નાણાકીય વિવાદને લઈને જાહેરમાં ગોળીબારની ઘટના બની છે. ગ-2 સર્કલ પાસે પ્લોટના સોદાના બાકી રહેલા 20 લાખ રૂપિયાની વસૂલાત માટે થયેલી ચર્ચા દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ થતાં આખા વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પ્રાથમિક તપાસ અનુસાર, ઉનાવા ગામના પત્રકાર જીતુ રાઠોડ અને તેમના સાથી હિતેશ રબારી પ્લોટના સોદાના બાકી રહેલા 20 લાખ રૂપિયા વસૂલ કરવા માટે પ્રદીપ જાડેજા પાસે આવ્યા હતા. ગ-2 સર્કલ પાસે ચર્ચા દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો.
ઉશ્કેરાટમાં આવીને હિતેશ રબારીએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢીને જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. આમાં પ્રદીપ જાડેજાને પેટમાં ગોળી વાગી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા.
ઇજાગ્રસ્ત પ્રદીપ જાડેજાને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
ઘટનાની ગંભીરતા જોતાં જિલ્લા પોલીસ વડા (SP) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધમાં તેજી લાવવામાં આવી છે.આ ઘટનાએ રાજ્યના પાટનગરમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નને ફરી એક વાર તીવ્ર બનાવ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત હાઈકોર્ટે 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે આપી મંજૂરી
