- ભૂતકાળમાં ગોઠવાયેલા નેટવર્ક બાદ હવે નવા વહીવટદારોની શોધ, પ્રશ્ન એ છે કે “કન્ફર્મેશન” કોણ આપે છે?
અમદાવાદ પોલીસ તંત્રમાં ચાલી રહેલા મોટા પાયાના ટ્રાન્સફર અને પોસ્ટિંગ વચ્ચે એક ગંભીર અને ચોંકાવનારી ચર્ચા સામે આવી રહી છે. સૂત્રો મુજબ વિપુલ નામનો કોન્સ્ટેબલ હવે શહેરમાં નવા “વહીવટ” મેળવવા માટે તૈયારીમાં લાગી ગયો છે. એટલું જ નહીં, તે માટે નવા વહીવટદારોની શોધ પણ શરૂ કરી ચૂક્યો છે, જાણે પોસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય.
આ વાતને વધુ ગંભીર બનાવે છે તાજેતરમાં થયેલા મોટા ફેરબદલ. પોલીસ DGP ઓફિસ દ્વારા અંદાજે 500થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરનું ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, જ્યારે 250થી વધુ PSIને પ્રમોશન આપી PI તરીકે નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. આ બદલાવને કારણે અમદાવાદ શહેરમાં નવા PI આવ્યા છે અને ઘણા PI અહીંથી જતાં રહ્યા છે. તેમ છતાં હજી સુધી ટ્રાન્સફર બાદની જોડાણી અને અંતિમ પોસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.
સામાન્ય રીતે આ સ્થિતિમાં કોને કયું પોલીસ સ્ટેશન મળશે તે અંતિમ તબક્કે નક્કી થાય છે અને બધા PIને પોલીસ સ્ટેશન મળતા નથી. ઘણા PIને અન્ય વહીવટી જવાબદારીઓ સોંપવામાં આવે છે. આવી અનિશ્ચિત પરિસ્થિતિમાં વિપુલનો આત્મવિશ્વાસ અનેક પ્રશ્નો ઉભા કરે છે. જ્યારે સિસ્ટમ પોતે જ અંતિમ નિર્ણય સુધી પહોંચી નથી, ત્યારે એક કોન્સ્ટેબલ કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકે કે તેને નવા વિસ્તારોનો વહીવટ મળશે?
આ પણ વાંચો – સરખેજ પોલીસ સ્ટેશનમાં નવા વહીવટદારની એન્ટ્રી, 10 ટકાના વિપુલ વધારા સાથે ગેરકાયદેસર સ્ટેન્ડોની નવી ગોઠવણ
વિપુલનું નામ છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગોઠવાયેલા નેટવર્કને લઈને ચર્ચામાં રહ્યું છે. એરપોર્ટ, સોલા અને ખાસ કરીને સરખેજ વિસ્તારમાં તેની ગોઠવણ વિશે અગાઉ પણ અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે, જ્યાં વહીવટદારો, વસૂલાતની અલગ ચેનલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે “પરમિશન મોડેલ” જેવી પદ્ધતિઓ કાર્યરત હોવાની વાતો સામે આવી હતી. આ જ પૃષ્ઠભૂમિમાં હવે નવા વહીવટ માટેની તેની તૈયારીને જોવામાં આવે તો પ્રશ્નો વધુ ગંભીર બની જાય છે.
સૂત્રો કહે છે કે વિપુલ પહેલાથી જ પોતાની જૂની કાર્યપદ્ધતિ મુજબ આગળ વધતો જોવા મળે છે, જેમાં પહેલા વિસ્તાર નિશાન બનાવવો, પછી વહીવટદારો ગોઠવવા અને ત્યારબાદ આવકના સ્ત્રોતોને સેટ કરવાનું મોડેલ સામેલ હોય છે. હાલની સ્થિતિમાં પણ તે જ પેટર્ન ફરી જોવા મળી રહ્યો છે, ફક્ત ફરક એટલો છે કે આ વખતે પોસ્ટિંગ પહેલાં જ આખી ગોઠવણ શરૂ થઈ ગઈ છે.
સૂત્રોનો દાવો છે કે જો વિપુલને નવા વહીવટ મળી જાય, તો તેની પાસે અમદાવાદના અંદાજે અડધા ડઝન જેટલા પોલીસ સ્ટેશનોના વહીવટ હોવાની સ્થિતિ ઉભી થઈ શકે છે.
આ સમગ્ર મામલો પ્રશાસનિક દૃષ્ટિએ અત્યંત ગંભીર છે. જો વિપુલને ખરેખર વિશ્વાસ છે કે તેને નવા વહીવટ મળશે, તો પ્રશ્ન એ છે કે આ વિશ્વાસનો આધાર શું છે? શું આ માત્ર અંદાજ છે કે પછી કોઈએ તેને પહેલેથી જ “ગ્રીન સિગ્નલ” આપી દીધો છે? અને જો આવું છે, તો તે સંકેત ક્યાંથી આવી રહ્યો છે?
આ કેસ માત્ર એક વ્યક્તિની હદ સુધી સીમિત નથી. આ પ્રશ્ન સમગ્ર પોલીસ તંત્રની પારદર્શિતા અને વિશ્વસનીયતા સાથે જોડાયેલો છે. જો પોસ્ટિંગ પહેલાં જ “વહીવટ” નક્કી થતો હોય, તો તે તંત્ર માટે ચેતવણીરૂપ છે.
હવે સવાલ સીધો છે કે શું આ માત્ર ચર્ચા છે, કે પછી અમદાવાદ પોલીસમાં પોસ્ટિંગ પહેલાં જ ગોઠવણનું ચક્ર શરૂ થઈ જાય છે?
આ પણ વાંચો – ગેસ સિલિન્ડરના સંકટ વચ્ચે પણ વિપુલના “વહીવટી રાજ”માં સરખેજમાં ધમધમે છે દેશી દારૂની અસંખ્ય ભઠ્ઠીઓ
