નવી દિલ્હી: અદાણી જૂથના વડા ગૌતમ અદાણી માટે અમેરિકાથી ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ અનુસાર, અમેરિકાનું ન્યાય વિભાગ (Department of Justice) અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના છેતરપિંડી અને લાંચખોરીના ગુનાહિત આરોપો પાછા ખેંચવાની તૈયારી કરી રહ્યું છે.
બીજી તરફ ‘બ્લૂમબર્ગ’ના અહેવાલો પણ સંકેત આપી રહ્યા છે કે અમેરિકી વહીવટીતંત્ર આ સપ્તાહે જ આ ફોજદારી કેસ સત્તાવાર રીતે રદ કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે, નવેમ્બર ૨૦૨૪ માં ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ સામે અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા દાખલ કરાયેલા સિવિલ ફ્રોડના કેસમાં પણ સમાધાન (સેટલમેન્ટ) તરફ આગળ વધવામાં આવી રહ્યું છે.
૧૦ અબજ ડોલરના રોકાણ અને ૧૫,૦૦૦ નોકરીઓની રજૂઆત
અહેવાલો અનુસાર, અમેરિકી વકીલ રોબર્ટ જિયુફ્રા જુનિયરના નેતૃત્વમાં અદાણીની લીગલ ટીમે તાજેતરમાં વૉશિંગ્ટનમાં ન્યાય વિભાગના અધિકારીઓ સમક્ષ લગભગ ૧૦૦ સ્લાઇડ્સનું એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અદાણીના વકીલોએ દલીલ કરી હતી કે અમેરિકી વકીલો પાસે આ કેસને આગળ વધારવા માટે પૂરતા પુરાવા કે કાનૂની અધિકારક્ષેત્ર નથી.
આ પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં એવો પણ સંકેત આપવામાં આવ્યો હતો કે જો આરોપો પાછા ખેંચવામાં આવે, તો ગૌતમ અદાણી અમેરિકામાં ૧૦ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવા અને આશરે ૧૫,૦૦૦ નવી નોકરીઓનું સર્જન કરવા તૈયાર છે. જો કે પ્રોસિક્યુટર્સે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રસ્તાવની કેસના પરિણામ પર કોઈ અસર નહીં પડે, પરંતુ બેઠક દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ આ પ્રસ્તાવ પર હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. અદાણીના વકીલ રોબર્ટ જિયુફ્રા ભૂતકાળમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ પણ રહી ચૂક્યા છે.
શું હતો સમગ્ર વિવાદ?
બ્રુકલિનના ફેડરલ પ્રોસિક્યુટર્સે અગાઉ આરોપ લગાવ્યો હતો કે અદાણી અને અન્ય આરોપીઓએ ભારતમાં સોલાર એનર્જીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરની લાંચ આપવાનું મોટું કાવતરું ઘડ્યું હતું અને જ્યારે કંપની અમેરિકી રોકાણકારો પાસેથી ફંડ મેળવી રહી હતી ત્યારે આ ચૂકવણીઓ છુપાવવામાં આવી હતી. SECએ સપ્ટેમ્બર ૨૦૨૧ માં અદાણી ગ્રીન એનર્જી દ્વારા જારી કરાયેલા બોન્ડ્સના દસ્તાવેજોમાં ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ અંગે ભ્રામક માહિતી આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે, અદાણી જૂથે શરૂઆતથી જ આ તમામ આરોપોનો સખત વિરોધ કર્યો છે અને કેસ રદ કરવા માંગ કરી છે.
રાજકીય ગરમાવો: વિપક્ષે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
આ અહેવાલો સામે આવ્યા બાદ ભારતમાં રાજકીય વિવાદ છેડાયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, તાજેતરની ભારત-અમેરિકા વ્યાપાર વાટાઘાટોનો હેતુ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો નહીં, પરંતુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને રાહત અપાવવાનો હતો.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાને ભારત-અમેરિકાના એકતરફી વ્યાપાર કરારને કેમ સ્વીકારી લીધો. તેમણે આરોપ લગાવ્યો કે ૧૦ મે ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂકીને રાષ્ટ્રીય હિતોના ભોગે ‘ઓપરેશન સિંદૂર’ને અચાનક રોકી દેવામાં આવ્યું હતું જેથી ટ્રમ્પ વહીવટીતંત્ર ‘મોદાણી’ સામેના ભ્રષ્ટાચારના તમામ આરોપો હટાવી લે. જયરામ રમેશે સવાલ ઉઠાવ્યો કે, “વડાપ્રધાન આખરે દેશના હિતો સાથે આનાથી વધુ કેટલું સેટલમેન્ટ કરશે?”
આ પણ વાંચો – અટલજી હોત તો શું વિચારતા? કથળતી સંસ્થાઓ, ડરેલા મતદારો અને ‘નિયંત્રિત લોકશાહી’ તરફ વધતો ભારત દેશ
