અમદાવાદ: રાજ્યમાં દારૂ અને જુગાર વિરુદ્ધની ઝુંબેશને વધુ મજબૂત બનાવવા માટે સરકારનો તાજેતરનો નિર્ણય હવે ચર્ચા અને ભારે વ્યંગ્યનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ શહેરના બે એવા વહીવટદારો—જેમણે ક્યારેક પોતાની જ હદમાં ચાલતા દારૂ-જુગારના નેટવર્કને કારણે ચર્ચા જગાવી હતી—તેમને જ હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટેની ‘પ્રીમિયમ સ્ક્વોડ’માં મૂકવામાં આવ્યા છે.
મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ વહીવટદાર રાઠોડ સાહેબની વાત કરીએ તો તેમની કારકિર્દી એકદમ ફિલ્મી લાગી શકે છે. ચર્ચા છે કે તેમના સમયગાળા દરમિયાન ત્યાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની રેડ પડી હતી અને ત્યારબાદ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ત્યારે શહેરના સીપી (CP)ના નિવાસસ્થાન નજીક જ દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપો થયા હતા. આ રેડ પછી લગભગ બે વર્ષ સુધી કંટ્રોલ રૂમમાં ‘વનવાસ’ ભોગવ્યા બાદ, તેઓ ફરી મણિનગર અને અન્ય જિલ્લાઓમાં ફરતા ફરતા હવે ફરી ‘મુખ્ય મંચ’ પર આવી ગયા છે.
બીજી તરફ, સરદારનગર અને શાહીબાગ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટ સંભાળનારા ચંપાવત સાહેબ પણ હવે આ જ પ્રીમિયમ સ્ક્વોડનો હિસ્સો બન્યા છે. જે વિસ્તારોમાં દારૂ-જુગારના કેસો હંમેશાં હેડલાઇન્સમાં રહેતા હતા, ત્યાં લાંબો સમય વહીવટ સંભાળ્યા બાદ હવે તેઓ રાજ્ય સ્તરે આ પ્રવૃત્તિઓને નાથવાની મહત્વની જવાબદારી નિભાવશે.
આ વિવાદાસ્પદ નિમણૂકોને લઈને પોલીસ વર્તુળોમાં અત્યારે એક જ વાત ગૂંજી રહી છે— “મેદાનના રમતવીરો હવે રેફરી બનશે.” પોલીસ બેડામાં આ નવીનતમ પોસ્ટિંગને લઈને ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે. કોઈ તેને ‘અનુભવનો સદુપયોગ’ કહીને હસી રહ્યું છે, તો કોઈ વળી તેને ‘સિસ્ટમનો મોટો સટાયર’ (વ્યંગ્ય) ગણાવી રહ્યું છે.
