- CBI ના નવા ‘બોસ’ કોણ? પસંદગી સમિતિની બેઠક બાદ વિવાદ વકર્યો, રાહુલ ગાંધીએ માહિતી છુપાવવાનો લગાવ્યો આરોપ
નવી દિલ્હી: દેશની સૌથી પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના નવા ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયા અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને એક ‘ડિસેન્ટ નોટ’ (અસંમતિ પત્ર) સોંપ્યો છે. આ પત્રમાં તેમણે પસંદગીની પ્રક્રિયાને એકતરફી, પક્ષપાતપૂર્ણ અને લોકશાહીના મૂલ્યોથી વિરુદ્ધ ગણાવી છે.
પસંદગી સમિતિની બેઠક અને વિવાદનું કારણ
વર્તમાન CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ ૨૪ મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. નવા ડાયરેક્ટરની પસંદગી માટે વડાપ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.
એક કલાકથી વધુ ચાલેલી આ બેઠક બાદ રાહુલ ગાંધીએ રાત્રે ૧૦:૧૦ કલાકે સોશિયલ મીડિયા પર પોતાનો અસંમતિ પત્ર જાહેર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, આ પ્રક્રિયામાં વિપક્ષના નેતાની ભૂમિકા માત્ર એક ‘રબર સ્ટેમ્પ’ જેવી બનાવી દેવામાં આવી છે.
રાહુલ ગાંધીના ગંભીર આક્ષેપો
પોતાના બે પાનાના પત્રમાં રાહુલ ગાંધીએ મોદી સરકારની કાર્યશૈલી પર અનેક સવાલ ઉઠાવ્યા છે:
માહિતીનો અભાવ: રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમને શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની મહત્વની માહિતી અગાઉથી આપવામાં આવી નહોતી. ઉમેદવારોના ‘સેલ્ફ-એપ્રેઝલ રિપોર્ટ’ કે ‘360 ડિગ્રી મૂલ્યાંકન રિપોર્ટ’ વગર પસંદગી કરવી એ મજાક સમાન છે.
I have written to the Prime Minister recording my dissent from the CBI Director selection process.
I cannot abdicate my constitutional duty by participating in a biased exercise.
The Leader of Opposition is not a rubber stamp. pic.twitter.com/WfSt5gGPPR
— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2026
ઉતાવળી પ્રક્રિયા: બેઠક દરમિયાન જ તેમને ૬૯ ઉમેદવારોના રેકોર્ડ્સ જોવાનું કહેવામાં આવ્યું, જે વ્યવહારિક રીતે અશક્ય છે.
પક્ષપાતનો આરોપ: સરકાર પોતાના મનપસંદ અધિકારીને આ પદ પર બેસાડવા માટે પ્રક્રિયાને પ્રી-ડિઝાઇન કરી રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે.
એજન્સીનો દુરુપયોગ: તેમણે લખ્યું કે મોદી સરકાર CBI નો ઉપયોગ રાજકીય વિરોધીઓ, પત્રકારો અને ટીકાકારોને ડરાવવા માટે કરી રહી છે.
નિયમોમાં ફેરફાર અને સંસ્થાઓ પર કબજો?
રાહુલ ગાંધીએ ઉઠાવેલો મુદ્દો એવા સમયે આવ્યો છે જ્યારે મોદી સરકાર પર સતત આરોપો લાગતા રહ્યા છે કે તેઓ બંધારણીય સંસ્થાઓમાં નિમણૂકના નિયમો બદલીને વિપક્ષ અને ન્યાયતંત્રની ભૂમિકા સીમિત કરી રહ્યા છે.
ચૂંટણી કમિશનરની નિમણૂક: ૨૦૨૩માં સરકારે કાયદો બદલીને પસંદગી સમિતિમાંથી ચીફ જસ્ટિસને હટાવી દીધા અને તેમની જગ્યાએ કેબિનેટ મંત્રીને સામેલ કર્યા. આનાથી સરકારની પકડ મજબૂત થઈ.
કઠપૂતળી અધિકારીઓની નિમણૂક: વિપક્ષનો આરોપ છે કે સરકાર હવે એવા અધિકારીઓની પસંદગી કરે છે જે સરકારના આદેશ મુજબ કામ કરે.
નવા CBI ચીફની રેસમાં કોણ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે કેટલાક વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામ વિચારણા હેઠળ છે, જેમાં પરાગ જૈન, શત્રુજીત કપૂર, યોગેશ ગુપ્તા, જીપી સિંહ અને પ્રવીર રંજન મુખ્ય છે. CBI ચીફની નિમણૂકમાં વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષી નેતાની ત્રિપુટી હોય છે, પરંતુ જો વિપક્ષી નેતા જ અસંમત હોય તો નિમણૂકની નૈતિકતા પર સવાલો ઉઠે છે.
CBI જેવી સંવેદનશીલ એજન્સીની સ્વાયત્તતા અત્યારે જોખમમાં હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની હાજરીમાં આ પ્રક્રિયા થઈ હોવા છતાં, રાહુલ ગાંધીનો વિરોધ એ વાતનો સંકેત છે કે આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાશે. જો સરકાર પોતાની મરજી મુજબ જ નિમણૂક કરશે, તો એજન્સીની નિષ્પક્ષતા પર ઉઠતા સવાલો વધુ તેજ બનશે.
આ પણ વાંચો – સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં તોતિંગ વધારો: હવે દાગીના ખરીદવા થશે મોંઘા, જાણો સરકારના આ નિર્ણય પાછળનું ગણિત
