- સોનું ખરીદવું હવે આકરૂં પડશે: ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધીને 15% થઈ, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે
- જ્વેલરી બજારમાં હડકંપ: સરકારના નિર્ણય બાદ જ્વેલરી કંપનીઓના શેર તૂટ્યા, શું સોનાની માંગ ઘટશે?
- ડોલર બચાવવા સોના પર બ્રેક: રૂપિયાને મજબૂત કરવા કેન્દ્ર સરકારનું આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક
નવી દિલ્હી: ભારત સરકારે કિંમતી ધાતુઓ જેવી કે સોના અને ચાંદી પરની આયાત જકાત (Import Duty) 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી છે. બુધવારે મોડી રાત્રે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સરકારનો આ નિર્ણય વિદેશી હૂંડિયામણ બચાવવા અને અર્થતંત્ર પરના દબાણને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.
કેમ વધારવામાં આવી ડ્યુટી?
સરકારે સોના-ચાંદીની આયાત પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ લાદ્યો છે. આનાથી અસરકારક આયાત વેરો 15% થઈ ગયો છે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve): ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી ડોલર ચૂકવીને મંગાવે છે. વર્ષ 2025-26માં સોનાની આયાત 71 અબજ ડોલરને પાર કરી ગઈ છે, જે અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.
રૂપિયાનું મૂલ્ય: ડોલરની માંગ વધતા રૂપિયો નબળો પડી રહ્યો છે. સોનાની આયાત ઘટવાથી રૂપિયા પરનું દબાણ ઓછું થશે.
ચાલુ ખાતાની ખાધ (CAD): આયાત અને નિકાસ વચ્ચેના તફાવતને ઘટાડવા માટે આ પગલું અનિવાર્ય માનવામાં આવે છે.
વડાપ્રધાન મોદીની ‘દેશભક્તિ’ની અપીલ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ ઓછામાં ઓછું એક વર્ષ સોનું ન ખરીદે. તેમણે કહ્યું હતું કે, “એક સમય હતો જ્યારે સંકટ સમયે લોકો દેશહિતમાં સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પણ દેશહિતમાં આપણે નક્કી કરવું પડશે કે વર્ષભર ઘરમાં કોઈ પ્રસંગ હોય તો પણ સોનું નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર આપી રહી છે.”
રોકાણકારો અને બજાર પર અસર
મોંઘી જ્વેલરી: ઈમ્પોર્ટ ડ્યુટી વધવાને કારણે ઘરેલું બજારમાં સોના-ચાંદીના ભાવ વધશે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકો પર પડશે.
શેરબજારમાં કડાકો: પીએમ મોદીની અપીલ અને ડ્યુટી વધારાના સમાચાર બાદ ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ અને રાજેશ એક્સપોર્ટ્સ જેવી કંપનીઓના શેરમાં 10 થી 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગોલ્ડ ETF: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, ફિઝિકલ ગોલ્ડને બદલે ગોલ્ડ ETFમાં રોકાણકારોનો રસ 186% વધ્યો છે.
નિષ્ણાતોના મતે, રશિયા-યુક્રેન અને ઈરાન યુદ્ધ જેવી ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળો આવ્યો છે, જેનાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ વધ્યું છે. સરકારના આ કડક નિર્ણયથી હવે સામાન્ય લોકોએ સોનામાં રોકાણ કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે.
આ પણ વાંચો – NEET 2026 પરીક્ષા રદ: પેપર લીકના વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય, હવે CBI તપાસ કરશે
