અમદાવાદ: દરિયાપુરના ચર્ચિત ‘મનપસંદ જીમખાના’ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના દરોડા બાદ ખાકી અને કાળા કારોબારના સેટિંગબાજોના ચહેરા પરથી માસ્ક ઉતરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મનપસંદ તો ‘વહીવટદાર’ ઉપેન્દ્રસિંહ રાયજાદાના કાળા કારનામાઓની માત્ર એક નાની ઝાંખી છે. રાયજાદાનું નેટવર્ક શહેરના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ ભ્રષ્ટાચારના અડ્ડા ચલાવી રહ્યું છે.
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપેન્દ્રસિંહ રાયજાદાનો વહીવટ માત્ર મનપસંદ જુગારધામ પૂરતો સીમિત નથી, પરંતુ કાગડાપીઠ અને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનનો વહીવટ પણ તેના જ ઈશારે ચાલે છે.
અમદાવાદના ગૌરવ સમાન રિવરફ્રન્ટને બુટલેગરોનું ધામ બનાવી દેવામાં આવ્યું છે. જે રિવરફ્રન્ટને અમદાવાદનું ઘરેણું, સુંદરતાનું પ્રતીક અને સૈલાણીઓ માટેનું શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે, તેને ઉપેન્દ્ર રાયજાદાના ‘કારસ્થાનો’ અને પરમિશનની નીતિએ દેશી દારૂના અડ્ડામાં ફેરવી નાખ્યું છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટના કિનારે, રાયજાદાની છત્રછાયા હેઠળ ધમધોકાર દેશી દારૂના સ્ટેન્ડ શરૂ કરાવી દેવાયા છે.
બુટલેગરોને આપવામાં આવેલી ખુલ્લી પરવાનગીને કારણે રિવરફ્રન્ટ પર ફરવા આવતા સૈલાણીઓ, પરિવારજનો, મહિલાઓ અને સ્થાનિક રાહદારીઓને સતત અસુરક્ષા અને દારૂડિયાઓની પજવણીનો સામનો કરવો પડી રહ્યો છે. દારૂડિયાઓની ‘ઓપન એર પાર્ટી’ માટે અમદાવાદના સૌથી સુંદર પ્રવાસી સ્થળને રાયજાદાના વહીવટે બુટલેગરોના અડ્ડા અને સેફ ઝોનમાં ફેરવી મૂક્યું છે.
જે રિવરફ્રન્ટ પર પોલીસનું કડક પેટ્રોલિંગ હોવું જોઈએ, ત્યાં દેશી દારૂની હાટડીઓ આખરે કોના આદેશથી ખુલ્લેઆમ ચાલી રહી છે? જાણકારોનું કહેવું છે કે જ્યાં સુધી ઉપેન્દ્ર રાયજાદા જેવા વહીવટદાર બુટલેગરોને પ્રોટેક્શન આપતા રહેશે, ત્યાં સુધી કાયદાનું પાલન થવાનું નથી. અમદાવાદની જનતા અને પ્રવાસીઓની સુરક્ષા સાથે રમત રમવાનો હક્ક કોઈ વહીવટદારને નથી.
