અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બેવડી નાગરિકતા (dual citizenship) સંબંધિત કેસમાં આપવામાં આવ્યો છે.શુક્રવારે લખનઉ બેન્ચમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે યુપી સરકારના વકીલની દલીલ સાંભળી. વકીલે કહ્યું કે આ પ્રકરણની તપાસ CBI કરે. કોર્ટે આ વિનંતીને મંજૂર કરી અને આદેશ આપ્યો કે FIR નોંધીને આખો કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. હવે FIR નોંધાયા બાદ તપાસ CBI કરશે.
આ અરજી ક્રિમિનલ એપ્લિકેશન તરીકે દાખલ કરવામાં આવી હતી. અરજદારે નીચલી અદાલતના 28 જાન્યુઆરી 2026ના આદેશને પડકાર્યો હતો, જેમાં રાયબરેલી પોલીસ સ્ટેશનને રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ અરજીને સ્વીકારીને FIR નોંધવાનો આદેશ આપ્યો છે.
અરજદાર વિગ્નેશ શિશિરએ દાવો કર્યો છે કે તેમણે કોર્ટ સમક્ષ એવા દસ્તાવેજો અને પુરાવા રજૂ કર્યા છે જે દર્શાવે છે કે રાહુલ ગાંધી યુનાઈટેડ કિંગડમમાં મતદાર તરીકે નોંધાયેલા છે અને ત્યાંની ચૂંટણીઓમાં ભાગીદારીના રેકોર્ડ ઉપલબ્ધ છે.
સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના ફોરેનર્સ ડિવિઝનને નિર્દેશ આપ્યા હતા કે કેસ સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરે. મંત્રાલયે કેસ સંબંધિત તમામ ફાઈલો હાઈકોર્ટમાં રજૂ કરી છે. અરજીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો તેમજ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923, પાસપોર્ટ એક્ટ 1967 અને ફોરેનર્સ એક્ટ 1946ના ઉલ્લંઘનના આરોપો લગાવવામાં આવ્યા છે.
અરજદારનું કહેવું છે કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકતા સાથે સંકળાયેલો ગંભીર વિષય છે.હાઈકોર્ટના આ આદેશ બાદ હવે FIR નોંધાશે અને તપાસ CBI કરશે. આ કેસ રાજકીય અને કાનૂની બંને દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં
