ગાંધીનગર : રાજ્યની પાટનગર ગાંધીનગરમાં આવેલા કર્મયોગી ભવનને આજે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી છે. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે મળેલી આ ધમકી બાદ તંત્રમાં તાત્કાલિક હલચલ મચી ગઈ છે. ધમકી મળતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઈમેલમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ જાણકારી મળતાં જ ગાંધીનગર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે સંપૂર્ણ કર્મયોગી ભવનને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે બિલ્ડિંગના દરેક માળ, ઓફિસો, લિફ્ટ, સીડીઓ અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સંકુલના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધમકીના ઈમેલના સ્ત્રોતની તપાસ માટે સાયબર ક્રાઈમ સેલને પણ સક્રિય કરવામાં આવ્યું છે.
આ ધમકીને કારણે રાજ્યના મહત્વના સરકારી કાર્યાલયોમાં કામકાજ અસ્થાયી રીતે અટકી ગયું છે. અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે અને સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો – સુરત : ચાર વિદ્યાર્થીઓએ કર્યો ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર
