- હેલા લેંગના સવાલ બાદ હવે નોર્વેમાં પીએમ મોદીના કાર્ટૂન પર બબાલ, જાણો લેખમાં શું લખ્યું છે?
પહેલાં ત્યાંના પત્રકાર હેલા લેંગ દ્વારા પૂછવામાં આવેલ સવાલ (જેનો તેમણે જવાબ નહોતો આપ્યો) ચર્ચામાં રહ્યો, ત્યાં જ હવે નોર્વેના એક અખબારમાં પીએમ મોદી પર છપાયેલું કાર્ટૂન ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
તેની ચર્ચા પણ થઈ રહી છે અને ટીકા પણ
જે નોર્વેજિયન અખબારની વાત થઈ રહી છે, તેનું નામ ‘આફ્ટેનપોસ્ટેન’ (Aftenposten) છે, જે નોર્વેના સૌથી મોટા અને પ્રભાવશાળી અખબારોમાંનું એક માનવામાં આવે છે.
પીએમ મોદીની નોર્વે યાત્રા દરમિયાન ‘આફ્ટેનપોસ્ટેન’એ એક કાર્ટૂન પ્રકાશિત કર્યું હતું જેમાં તેમને ‘મદારી’ (સાપ પકડનાર) તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને પેટ્રોલ પંપના પાઇપને સાપની જેમ દેખાડવામાં આવ્યો હતો.
આ કાર્ટૂન એક ઓપિનિયન લેખ સાથે પ્રકાશિત થયું હતું, જેમાં પીએમ મોદી માટે હેડલાઇન આપવામાં આવી હતી, ‘એક ચાલાક અને થોડો ચીડ અપાવે તેવો માણસ’.
‘વંશવાદી (Racist) કાર્ટૂન’
આ તસવીર પર ઓનલાઇન કડક પ્રતિક્રિયાઓ જોવા મળી, ખાસ કરીને ભારતમાં.
ઘણા યુઝર્સ અને વિવેચકોએ તેને ‘વંશવાદી’ ગણાવ્યું અને કહ્યું કે આ તે સંસ્થાનવાદી (અંગ્રેજોના) કાળની યાદ અપાવે છે જ્યાં પશ્ચિમી મીડિયા લાંબા સમયથી ભારતને પછાત બતાવવાનો પ્રયાસ કરતું રહ્યું છે.
વરિષ્ઠ પત્રકાર આદિત્ય રાજ કૌલે X પર લખ્યું, “ચોંકાવનારું. વંશવાદી. અપમાનજનક. નોર્વેનું સૌથી મોટું બ્રોડશીટ અખબાર આફ્ટેનપોસ્ટેન એક ચોંકાવનારું કાર્ટૂન પ્રકાશિત કરી રહ્યું છે, જેમાં ભારતના વડાપ્રધાનને એક મદારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેની સાથે હેડલાઇન છે- એક ચાલાક અને થોડો ચીડ અપાવે તેવો માણસ. તેઓ ભારતની પ્રગતિ અને સફળતા પચાવી શકતા નથી. અફસોસ.”
@samjawed65 નામના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું, “સંપૂર્ણપણે વંશવાદી. જે વાત વધુ ધ્યાન ખેંચે છે, તે છે આમાં રહેલી વિડંબના. વડાપ્રધાન મોદી પહેલાં અવારનવાર એવું કહેતા રહ્યા છે કે દુનિયા પહેલા ભારતને સાપના ખેલ બતાવનારાઓની ધરતી તરીકે જોતી હતી. અને હવે, તેમના ઓસ્લો પ્રવાસ દરમિયાન, એક મહત્ત્વપૂર્ણ યુરોપિયન અખબાર તેમને એ જ છબીમાં દર્શાવે છે.”
‘ધ હિંદુ’ ગ્રુપ સાથે જોડાયેલા પત્રકાર અને ચીન મામલાના જાણકાર અનંત કૃષ્ણને લખ્યું, “આ કાર્ટૂન, જેને મેં ભૂલથી કોઈ સસ્તા ટેબ્લોઇડનું સમજ્યું હતું, તે ખરેખર નોર્વેના સૌથી મોટા અખબાર આફ્ટેનપોસ્ટેનમાં પ્રકાશિત થયું છે, જેને ‘પેપર ઓફ રેકોર્ડ’ પણ કહેવામાં આવે છે. આ કથિત રીતે શ્રેષ્ઠ પત્રકારિતાના ધોરણોની છબી માટે કોઈ સારું ઉદાહરણ નથી.”
પત્રકાર શશાંક મટ્ટુએ લખ્યું, “નોર્વેના સૌથી મોટા અખબારે વડાપ્રધાન મોદીનું એક કાર્ટૂન પ્રકાશિત કર્યું છે, જેમાં તેમને તેમના ઓસ્લો પ્રવાસ દરમિયાન મદારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. હેડલાઇનમાં લખ્યું છે, “એક ચાલાક અને થોડો ચીડ અપાવે તેવો માણસ”.
Carlwheless ના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરાયું, “નોર્વેના સૌથી મોટા અખબારે હમણાં જ વડાપ્રધાન મોદીનું એક કાર્ટૂન પ્રકાશિત કર્યું છે, જેમાં તેમને મદારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પત્રકારિતા નથી – આ સંસ્થાનવાદી યુગના વંશવાદને ટિપ્પણી તરીકે રજૂ કરવા સમાન છે. તેઓ ભારતના ઉદયને સહન કરી શકતા નથી, તેથી જ તેમના દાદા-પરદાદા વાપરતા હતા તેવા જ જૂના સ્ટીરિયોટાઇપનું પુનરાવર્તન કરી રહ્યા છે. દર વખતે અસલિયત સામે આવી જ જાય છે.”
લેખમાં પીએમ મોદી વિશે શું કહેવામાં આવ્યું?
ફ્રેન્ક રોઝેવિક નામના વિવેચકે પીએમ મોદી પર આ આર્ટિકલ લખ્યો હતો જેનું શીર્ષક છે, ‘એક ચાલાક અને થોડો ચીડ અપાવે તેવો માણસ’.
આફ્ટેનપોસ્ટેન અખબારમાં છપાયેલા આ લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વે યાત્રા અને તેમની વિદેશ નીતિ પર ટિપ્પણી કરવામાં આવી છે.
આમાં લેખકે કહ્યું છે કે મોદીની વિદેશ નીતિ ખૂબ જ વ્યવહારિક (પ્રેગ્મેટિક) છે, એટલે કે તેઓ વિચારધારા કરતા રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે. મોદીને એવા નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે જે અલગ-અલગ દેશો સાથે એકસાથે સારા સંબંધો રાખવા માંગે છે, પછી ભલે તે દેશો એકબીજા સાથે સહમત હોય કે ન હોય. લેખમાં મોદીની આ નીતિને ‘રિયલપોલિટિક’ કહેવામાં આવી છે – એટલે કે રાજકારણમાં વ્યવહારિક હિતોના આધારે નિર્ણયો લેવા.
તેમણે લેખમાં ભારતને એક ઉભરતી વૈશ્વિક શક્તિ ગણાવી છે, જે વેપાર, ટેકનોલોજી, ઊર્જા અને વ્યૂહરચનાના ક્ષેત્રમાં ઘણા દેશો સાથે ભાગીદારી વધારી રહી છે. તેમાં નોર્ડિક દેશો (ઉત્તરી યુરોપના ઠંડા તાપમાનવાળા દેશો – જેમ કે નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડ) ભારત માટે એટલા માટે મહત્વપૂર્ણ જણાવ્યા છે કારણ કે ત્યાં ગ્રીન ટેક્નોલોજી, ડિજિટાઇઝેશન અને આર્કટિક ક્ષેત્રને લગતી તકો છે.
લેખ એ પણ દર્શાવે છે કે પશ્ચિમી દેશોને ક્યારેક ભારતની વિદેશ નીતિ અસંગત (ઇનકન્સિસ્ટન્ટ) લાગી શકે છે, ખાસ કરીને રશિયા સાથેના સંબંધોને લઈને. સાથે જ, ભારતમાં લોકશાહી અને પ્રેસની સ્વતંત્રતા અંગે કેટલીક ટીકાઓ પણ લેખમાં સામેલ છે, જે પશ્ચિમી ચર્ચાઓનો હિસ્સો છે.
એકંદરે લેખનો સૂર સંપૂર્ણપણે સમર્થન કે વિરોધનો નથી. તે મોદીની વિદેશ નીતિને એક વ્યૂહાત્મક અને હિત-આધારિત વૈશ્વિક નીતિ તરીકે વર્ણવવાનો પ્રયાસ કરે છે.
ચર્ચામાં રહ્યો પીએમ મોદીનો નોર્વે પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નોર્વે પ્રવાસ ઘણો ચર્ચિત રહ્યો.
જ્યારે તેઓ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથેની મુલાકાત બાદ જઈ રહ્યા હતા ત્યારે ત્યાંના પત્રકાર હેલા લેંગે તેમને સવાલ પૂછ્યો હતો પરંતુ પીએમ જવાબ આપ્યા વિના આગળ વધી ગયા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પત્રકાર હેલા લેંગને એવું કહેતા સાંભળી શકાય છે, “વડાપ્રધાન મોદી, તમે દુનિયાની સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલો કેમ નથી લેતા?”
બાદમાં હેલા લેંગે વીડિયો શેર કરતા લખ્યું, “ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા સવાલનો જવાબ ન આપ્યો. મને તેની આશા પણ નહોતી. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નોર્વે પ્રથમ ક્રમે છે અને ભારત ૧૫૭મા ક્રમે છે.”
આ ઘટના બાદ ભારતમાં રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રા સહિત અનેક વિપક્ષી નેતાઓએ પીએમની ટીકા કરી અને સવાલોથી ગભરાઈ જવાનો આરોપ લગાવ્યો, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ હેલા લેંગના સવાલો અને નિવેદનોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા.
આ પણ વાંચો – રૂપિયામાં ઐતિહાસિક કડાકો અને વધતો અવિશ્વાસ: વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી કેમ ફેરવ્યું મોઢું?
