- ફરિયાદો ધરાવતા અધિકારીઓને સાઇડ પોસ્ટિંગ, ફાઇલોના ઢગલા કરનારા તંત્રને ઝટકો, સાઇડલાઇન થયેલાઓને છેલ્લી તક અને નવા ચહેરાઓ પર સરકારનો દાવ
અભિષેક પાંડેય, ગાંધીનગર : 13 એપ્રિલ 2026ના રોજ ગુજરાત સરકારે વહીવટીતંત્રમાં એવો મેગા ફેરબદલ કર્યો કે સચિવાલયથી લઈને જિલ્લા કચેરીઓ સુધીની આખી બ્યુરોક્રસીમાં રાજકીય અને પ્રશાસનિક સંદેશ એકસાથે પહોંચી ગયો છે. સરકારે એક જ આદેશમાં 72 IAS અધિકારીઓની બદલી કરીને સ્પષ્ટ કરી દીધું છે કે હવે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાંનું આખું પ્રશાસનિક માળખું “પરફોર્મન્સ, કંટ્રોલ અને રિઝલ્ટ”ના આધારે ફરી ગોઠવાશે.
મોટા પાયે ફેરબદલ થવાનો છે તે વાત વહીવટી વર્તુળોમાં ઘણા સમયથી ચર્ચામાં હતી, પરંતુ આટલી ઝડપથી અને આટલા વિશાળ સ્તરે સર્જરી કરવામાં આવશે તેવી અપેક્ષા ખુદ અધિકારીવર્ગને પણ નહોતી. નવરચિત મહાનગરપાલિકાઓમાંથી આઠમાં નવા કમિશનરોની નિમણૂક, અનેક જિલ્લા કલેક્ટરોની બદલી, જિલ્લા વિકાસ અધિકારીઓમાં ફેરફાર અને બોર્ડ-નિગમો તથા PSU સુધી થયેલી આ ગોઠવણી માત્ર રૂટિન ટ્રાન્સફર નથી. સરકારે આ કવાયત દ્વારા આખા વહીવટીતંત્રને “રીસેટ” કરવાનો પ્રયાસ કર્યો છે.
આ સમગ્ર ફેરબદલને સમજવા માટે માત્ર પોસ્ટિંગની યાદી જોવી પૂરતી નથી, તેની પાછળ કામ કરતી “મેથડ” (પદ્ધતિ) સમજવી જરૂરી છે. સત્તાવાર વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે સરકારે આ ટ્રાન્સફરમાં ચાર સ્પષ્ટ ફોર્મ્યુલા પર કામ કર્યાં છે.
1. ફરિયાદો, અસંતોષ અને સંગઠનથી અંતર ધરાવનારાઓ સામે કાર્યવાહી
પ્રથમ કેટેગરી એવા અધિકારીઓની રહી જેમની સામે સતત ફરિયાદો આવી રહી હતી. સરકાર અને સંગઠન સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે કેટલાક અધિકારીઓ સ્થાનિક સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનતાના અસંતોષને સંપૂર્ણપણે અવગણીને કામ કરી રહ્યા હતા. ગ્રાઉન્ડ લેવલ પર તેમની કાર્યશૈલીને કારણે આગામી સમયમાં રાજકીય નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી હતી.
આવા અધિકારીઓને મહત્વના સ્થાનો પરથી હટાવીને સાઇડ પોસ્ટિંગ આપી દેવાયું છે. સરકારનો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે હવે માત્ર ટેક્નિકલ એડમિનિસ્ટ્રેશન (ટેકનિકલ વહીવટ) પૂરતો નહીં રહે, પરંતુ રાજકીય સંવેદનશીલતા, લોકો પ્રત્યેની જવાબદારી અને સંગઠન સાથેનો તાલમેલ પણ મૂલ્યાંકનનો અગત્યનો ભાગ રહેશે.
2. “ફાઇલોનું કબ્રસ્તાન” બની ગયેલી કચેરીઓ પર પ્રહાર
બીજી કેટેગરી એવા અધિકારીઓની છે જેઓ મહત્વપૂર્ણ પદો પર હોવા છતાં સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ફળ રહ્યા હતા. અનેક કચેરીઓમાં ફાઇલોના ઢગલા ખડકાઈ રહ્યા હતા. અધિકારીઓના અતિ સાવચેત વલણ, નિર્ણય લેવામાં વિલંબ અને જવાબદારી ટાળવાની માનસિકતાના કારણે સામાન્ય નાગરિકોને છેક કોર્ટ સુધી જવું પડતું હતું.
અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી આ સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ખાસ કરીને લેન્ડ રેવન્યુ (જમીન મહેસૂલ) અને NA સંબંધિત કેસોમાં ફાઇલોના મોટા બેકલોગ અંગે સરકાર સુધી ગંભીર ફરિયાદો પહોંચી હતી. કલેક્ટર કચેરીની આ ગતિહીનતાને કારણે મોટી સંખ્યામાં અરજદારો કોર્ટના ચક્કર કાપી રહ્યા હતા.
સરકારે સુજીત કુમારને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ (અમદાવાદ) તરીકે ખસેડીને તેમની જગ્યાએ વલસાડના કલેક્ટર ભવ્ય વર્માને અમદાવાદ મોકલ્યા છે. રાજ્યના સૌથી સંવેદનશીલ અને રાજકીય રીતે મહત્વપૂર્ણ એવા અમદાવાદ જિલ્લામાં હવે ભવ્ય વર્મા માટે આગામી એક વર્ષ “કેરિયર ડિફાઇનિંગ પિરિયડ” (કારકિર્દી ઘડનારો સમય) બની રહેશે, કારણ કે અમદાવાદમાં ફાઇલ ક્લિયરન્સ, અર્બન લેન્ડ મેનેજમેન્ટ અને પ્રશાસનિક ગતિ લાવવી તે હવે સરકારની સીધી પ્રાથમિકતા છે.
3. 2024 પહેલાં સાઇડલાઇન થયેલાઓને “વધુ એક તક”
આ ટ્રાન્સફર ડ્રાઇવનો ત્રીજો સંદેશ વધુ રાજકીય માનવામાં આવે છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કેટલાક અધિકારીઓને મેદાનમાંથી દૂર કરીને લૂપ લાઇન કે સાઇડ પોસ્ટિંગમાં મોકલી દેવાયા હતા. તેનું કારણ તેમની નબળી કામગીરી ઉપરાંત “પોતાના માટે વધુ અને પબ્લિક માટે ઓછું પરફોર્મન્સ” કરવાની છાપ ગણાતી હતી.
હવે આવા કેટલાક અધિકારીઓને ફરી મેદાની જંગમાં ઉતારવામાં આવ્યા છે. સરકારનું સૂત્ર અહીં લગભગ “સુધાર લાવો અથવા સુધરી જાઓ” જેવું રહ્યું છે. તેમને આગામી એક વર્ષ માટે તક આપવામાં આવી હોવાનું અનુમાન છે, જેથી તેઓ ફરી પોતાની વહીવટી ક્ષમતા સાબિત કરી શકે.
દાખલા તરીકે ભાવનગરના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોયાને 2024 પહેલાં મેદાની જવાબદારીમાંથી દૂર કરીને રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ (અમદાવાદ) તરીકે મુકવામાં આવ્યા હતા. હવે તેમને ફરી સક્રિય પ્રશાસનમાં લાવીને પાટણના કલેક્ટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સરકાર માટે આ એક “રી-એન્ટ્રી એક્સપેરીમેન્ટ” સમાન છે.
4. લો-પ્રોફાઇલ પરંતુ સરકારને દેખાયેલું “પોટેન્શિયલ”
આ સમગ્ર ફેરબદલનો સૌથી રસપ્રદ ભાગ ચોથી કેટેગરી છે. કેટલાક એવા અધિકારીઓને અત્યંત મહત્વપૂર્ણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે જેમની સર્વિસ પ્રોફાઇલ અત્યાર સુધી ખાસ ચર્ચામાં નહોતી. છતાં સરકારે તેમની અંદર લાંબા ગાળાની પ્રશાસનિક ક્ષમતા (પોટેન્શિયલ) જોઈ હોવાનું દેખાય છે.
બોટાદના કલેક્ટર ડૉ. જીન્સી રોયને Gujarat Informatics Limited (GIL) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મોકલવા તે એનું સૌથી મોટું ઉદાહરણ છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) હેઠળ આવતું GIL રાજ્યના ડિજિટલ ગવર્નન્સ, ડેટા સેન્ટર, ટેન્ડર પ્રક્રિયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી આધારિત અગત્યના પ્રોજેક્ટ્સ માટે અત્યંત મહત્વપૂર્ણ સંસ્થા છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિભાગ પોતાના પ્રોજેક્ટ્સ કરતાં વધુ આંતરિક વિવાદો અને વિલંબને કારણે ચર્ચામાં રહ્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારની કરોડો રૂપિયાની ટેક્નોલોજી આધારિત યોજનાઓ લાંબા સમયથી અટવાયેલી હોવાનું માનવામાં આવે છે. આવા દબાણભર્યા અને પડકારજનક વિભાગમાં ડૉ. જીન્સી રોયની નિમણૂક સરકારનો એક પ્રકારનો “હાઇ રિસ્ક, હાઇ એક્સપેક્ટેશન” (મોટું જોખમ, મોટી અપેક્ષા) વાળો નિર્ણય ગણાય છે.
2027 પહેલાં વહીવટીતંત્રને “ઇલેક્શન મોડ”માં લાવવાનો પ્રયાસ
આ સમગ્ર પ્રશાસનિક સર્જરીનો અંતિમ અને સૌથી મોટો સંદેશ એ છે કે સરકાર હવે 2027ની ચૂંટણી પહેલાં વહીવટીતંત્રને સંપૂર્ણપણે “ઇલેક્શન મોડ”માં જોવા માંગે છે. માત્ર સિનિયોરિટી, બેચ અથવા કોઈ લોબી હવે પૂરતી નહીં રહે. ગ્રાઉન્ડ પર કામની ગતિ, ફાઇલોનો ઝડપી નિકાલ, રાજકીય સંવેદનશીલતા અને સચોટ પરિણામ આપવાની ક્ષમતા જ આગામી સમયમાં અધિકારીઓનું ભવિષ્ય નક્કી કરશે.
ટૂંકમાં, આ ફેરબદલ માત્ર કોઈ સામાન્ય ટ્રાન્સફર ઓર્ડર નથી, પરંતુ ગુજરાતના બ્યુરોક્રેટિક પાવર સ્ટ્રક્ચરને 2027ની ચૂંટણીલક્ષી રાજકીય અને પ્રશાસનિક બ્લૂપ્રિન્ટ પર ગોઠવવાનો માસ્ટરસ્ટ્રોક છે.
આ પણ વાંચો – અટલજી હોત તો શું વિચારતા? કથળતી સંસ્થાઓ, ડરેલા મતદારો અને ‘નિયંત્રિત લોકશાહી’ તરફ વધતો ભારત દેશ
